1 કરિંથીઓને 13 : 1 (GUV)
જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું.
1 કરિંથીઓને 13 : 2 (GUV)
જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.
1 કરિંથીઓને 13 : 3 (GUV)
જો કે હું [દરિદ્રીઓનું] પોષણ કરવા માટે, મારી સર્વ સંપત્તિ આપી દૂઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોપું, પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશો લાભ નથી.
1 કરિંથીઓને 13 : 4 (GUV)
પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી, પ્રેમ આપવડાઈ કરતો નથી, ફુલાઈ જતો નથી,
1 કરિંથીઓને 13 : 5 (GUV)
અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ [હિત] જોતો નથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી;
1 કરિંથીઓને 13 : 6 (GUV)
અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે.
1 કરિંથીઓને 13 : 7 (GUV)
બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે.
1 કરિંથીઓને 13 : 8 (GUV)
પ્રેમ કદી ખૂટતો નથી. પણ ભવિષ્ય [ભાખવાનું] દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે.
1 કરિંથીઓને 13 : 9 (GUV)
કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે, અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ.
1 કરિંથીઓને 13 : 10 (GUV)
પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.
1 કરિંથીઓને 13 : 11 (GUV)
જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.
1 કરિંથીઓને 13 : 12 (GUV)
કેમ કે હમણાં આપણે [જાણે કે] દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ મને [ઈશ્વર પૂર્ણ રીતે] જાણે છે તેમ [હું પૂર્ણ રીતે] જાણીશ.
1 કરિંથીઓને 13 : 13 (GUV)
હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: